1 Peter 1

1વેરવિખેર થઈને પોન્તસ, ગલાતીયા, કાપાદોકિયા, આસિયા, અને બિથુનિયામાં પરદેશી તરીકે વસેલા વિશ્વાસીઓ; 2જેઓને ઈશ્વરપિતાના પૂર્વજ્ઞાન પ્રમાણે આત્માના પવિત્રીકરણથી આજ્ઞાકારી થવા અને ઈસુ ખ્રિસ્તના રક્તથી છંટકાવ પામવા સારુ પસંદ કરેલા છે, તેઓને ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પિતર લખે છે; તમારા પર પુષ્કળ કૃપા તથા શાંતિ હો.

3આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતાની સ્તુતિ થાઓ; તેમણે પોતાની પુષ્કળ દયા પ્રમાણે મૂએલામાંથી ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન દ્વારા આપણને જીવંત આશાને સારુ, 4અવિનાશી, નિર્મળ તથા જર્જરિત ન થનારા વતનને માટે આપણને નવો જન્મ આપ્યો છે, તે વતન તમારે માટે સ્વર્ગમાં રાખી મૂકેલું છે. 5છેલ્લા સમયમાં જે ઉધ્ધાર પ્રગટ થવાની તૈયારીમાં છે, તેને માટે ઈશ્વરના સામર્થ્ય વડે વિશ્વાસથી તમને સંભાળવામાં આવે છે,

6એમાં તમે બહુ આનંદ કરો છો, જો કે હમણાં થોડા સમય માટે વિવિધ પ્રકારનાં પરીક્ષણ થયાથી તમે દુઃખી છો, 7એ માટે કે તમારા વિશ્વાસની પરીક્ષા જે અગ્નિથી પરખાયેલા નાશવંત સોના કરતાં વધુ મૂલ્યવાન છે, તે ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની ઘડીએ સ્તુતિ, માન તથા મહિમા યોગ્ય થાય.

8તેમને ન જોયા છતાં પણ તમે તેમના પર પ્રેમ રાખો છો, જો કે અત્યારે તમે તેમને જોતા નથી, તોપણ તેમના પર વિશ્વાસ રાખો છો અને તમે તેમનામાં અવાચ્ય તથા મહિમા ભરેલા આનંદથી હરખાઓ છો. 9તમે પોતાના વિશ્વાસનું ફળ, એટલે આત્માઓનો ઉધ્ધાર પામો છો. 10જે પ્રબોધકોએ તમારા પરની કૃપા વિષે ભવિષ્યકથન કર્યું તેઓએ તે ઉધ્ધાર વિષે તપાસીને ખંતથી શોધ કરી;

11ખ્રિસ્તનો આત્મા જે તેઓમાં હતો તેણે ખ્રિસ્તનાં દુઃખ તથા તે પછીના મહિમા વિષે સાક્ષી આપી, ત્યારે તેણે કયો અથવા કેવો સમય બતાવ્યો તેનું સંશોધન તેઓ કરતા હતા. 12જે પ્રગટ કરાયું હતું તેનાથી તેઓએ પોતાની નહિ, પણ તમારી સેવા કરી; સ્વર્ગમાંથી મોકલાયેલા પવિત્ર આત્માની સહાયથી જેઓએ તમને સુવાર્તા પ્રગટ કરી તેઓ દ્વારા તે વાતો તમને હમણાં જણાવવામાં આવી; જે જોવાની ઉત્કંઠા દૂતો પણ ધરાવે છે.

13એ માટે તમે પોતાના મનમાં સાવચેત રહો અને જે કૃપા ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની ઘડીએ તમારા પર થશે તેની સંપૂર્ણ આશા રાખો. 14તમે આજ્ઞાકારી સંતાનો જેવા થાઓ, અને પોતાની અગાઉની અજ્ઞાનાવસ્થાની દુર્વાસના પ્રમાણે ન ચાલો.

15પણ જેમણે તમને તેડ્યા છે, તે જેવા પવિત્ર છે તેમના જેવા તમે પણ સર્વ વ્યવહારમાં પવિત્ર થાઓ. 16કેમ કે એમ લખ્યું છે કે, “હું પવિત્ર છું, માટે તમે પવિત્ર થાઓ”. 17અને જે પક્ષપાત વગર દરેકનાં કામ પ્રમાણે ન્યાય કરે છે, તેમને જો તમે પિતા કહીને વિનંતી કરો છો, તો તમારા અહીંના પ્રવાસનો સમય બીકમાં વિતાવો.

18કેમ કે તમે એ જાણો છો કે તમારા પિતૃઓથી ચાલ્યાં આવતાં વ્યર્થ આચરણથી તમે નાશવંત વસ્તુઓ, એટલે રૂપા અથવા સોના વડે નહિ, 19પણ ખ્રિસ્ત જે નિષ્કલંક તથા નિર્દોષ હલવાન છે તેમના મૂલ્યવાન રક્તથી ખરીદી લેવાયેલા છો.

20તેઓ તો સૃષ્ટિના પ્રારંભ પૂર્વે નિયુક્ત કરાયેલા હતા ખરા, પણ તમારે માટે આ છેલ્લા સમયમાં પ્રગટ થયા. 21તેમને આધારે તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો, જેમણે તેમને મરણમાંથી ઉઠાડયા અને મહિમા આપ્યો, એ માટે કે તમારો વિશ્વાસ તથા આશા ઈશ્વર પર રહે.

22તમે સત્યને આધીન રહીને ભાઈ પરના નિષ્કપટ પ્રેમને માટે તમારાં મનને પવિત્ર કર્યા છે, માટે શુદ્ધ અંતઃકરણથી એકબીજા પર આગ્રહથી પ્રેમ કરો. 23કેમ કે તમને વિનાશી બીજથી નહિ, પણ અવિનાશી બીજથી, ઈશ્વરના જીવંત તથા સદા ટકનાર વચન વડે નવો જન્મ આપવામાં આવ્યો છે.

24કેમ કે, ‘સર્વ પ્રાણી ઘાસના જેવાં છે અને મનુષ્યનો બધો મહિમા ઘાસના ફૂલ જેવો છે. ઘાસ સુકાઈ જાય છે અને તેનું ફૂલ ખરી પડે છે, પણ પ્રભુનું વચન સદા રહે છે.’ જે સુવાર્તાનું વચન તમને પ્રગટ કરાયું તે એ જ છે.

25

Copyright information for GujULB